ભરૂચ,
– ગણેજીની મૂર્તિનું વિસર્જન તંત્ર દ્વારા તૈયાર કરાયેલા પવિત્ર કુંડમાં જ થાય તે જોવા ગણેશ આયોજકોને અનુરોધ કરતું જિલ્લા વહીવટીતંત્ર
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને આગામી ગણેશોત્સવ તહેવારને અનુલક્ષીને જિલ્લાના તમામ લાયઝન અધિકારી તેમજ આયોજકો સાથે બેઠક કરી કેન્દ્ર, રાજય સરકાર સાથે હાઈકોર્ટ દ્વારા ગણેશજીની મૂર્તી અંગેની માર્ગદર્શિકા જણાવી નિયમોનું પાલન કરાવવા ઉપર ભાર મૂકયો હતો.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે તમામ લાયઝનીગ અધિકારીઓ તેમજ આયોજકો અને યુવક મંડળોને તેમણે કહ્યું હતું કે આ વર્ષે ગણેશ વિસર્જનના દિવસે કોઇ પણ ધર્મ કે સમાજની લાગણી દુભાય તેવા કૃત્યો ન થાય તે માટે ખાસ સૂચનો કરી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડયું હતું.
કલેક્ટરે ઓપરેશન સિંદૂર જેવા ગૌરવવંતી પગલાંની ઝાંખી કરાવી દેશપ્રેમને ઉજાગર કરવા, આપણાં દેશનાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહને આપે તેમજ રાષ્ટ્રસેવા પ્રત્યેની જાગૃતિ આપે તેવા પ્રકારનાં પંડાલની વ્યવસ્થા કરી ધાર્મિક લાગણીની સાથે-સાથે દેશ માટે અમૂલ્ય યોગદાનની થીમ પર આયોજન કરવા માટે અપીલ કરી હતી.સાથે જ પર્યાવરણને નુકશાનકારક હોય તેવી પીઓપી કે તેના જેવી કોઈપણ સામગ્રીનો ઉપયોગ ના થાય તેવી જ Eco friendly પ્રતિમાની સ્થાપના કરવા તેમણે આયોજકોને અનુરોધ કર્યો હતો તેમજ આ સાથે મૂર્તિનું વિસર્જન તંત્ર દ્વારા તૈયાર કરાયેલા પવિત્ર કુંડમાં જ સમય મર્યાદામાં આયોજનબધ્ધ થાય તે માટે જરૂરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે જિલ્લામાં તહેવાર દરમિયાન ગણેશ પ્રતિમાના આગમનથી લઈ વિસર્જન સુધી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તે માટે આયોજકો દ્વારા ખાસ કાળજી લેવામાં આવે તેમજ મહોત્સવ અનુસંધાને થયેલા જાહેરનામાની સાથે તેમણે વિવિધ મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચા કરી હતી.
વધુમાં ગાઈડ લાઇનને ધ્યાને લઈ ગણેશ મહોત્સવમાં ગણેશ મૂર્તિનું સ્થાપના કરવા, સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ/મંડપમાં લાઇટ, સીસીટીવી, ફાયર એક્સટેન્ગ્યુશર, બેરીગેટ મુકવા તથા બનાવેલ મંડપ રોડ ઉપર રાહદારીઓને અડચણ રૂપ ના બને કે કોઇ પણ રોડ બ્લોક ના થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. પીઓપીની મૂર્તિ અને ૯ ફૂટથી વધુ ઊંચી મૂર્તિ નહીં હોય તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેર માર્ગ પર ફટાકડા ફોડવા અથવા કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ નહીં કરવા આવે તે માટે મંડળોને તાકીદ કરવામાં આવી હતી.આ સાથે પ્રતિમાના આગમન કે વિસર્જન દરમિયાન ડીજેનો અવાજ ધ્વનિ પ્રદૂષણનું કારણ ન બને તેની તકેદારી રાખવા તેમજ જાહેરનામાને અનુસંધાને મોડી રાત્રે ડીજેનો ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવા અંગે જણાવ્યું હતું.સાથો સાથ ભરૂચ શહેરમાં બે સ્થળોએ અને અંકલેશ્વર શહેર ખાતે પવિત્ર કૃત્રિમ કુંડ બનાવામાં આવશે તેમજ જિલ્લાના ગ્રામ્યસ્તરે પ્રાંત અધિકારીશ્રીઓ અને મામલતદારશ્રીઓને પણ આયોજકો સાથે ગણેશોત્સવ તહેવાર અન્વયે મિંટીંગ કરવા સૂચના આપી હતી. આ બેઠક દરમ્યાન ઉપસ્થિત રહેલા આયોજકો દ્નારા થયેલી મહત્વની રજૂઆતોને અંગે ઘટતું કરવા જણાવ્યું હતું.




