ભરૂચ,
ભરૂચમાં છેલ્લા બે દિવસથી સતત ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી લાંબી વાહન કતારો જોવા મળી હતી. શહેરના બાયપાસથી લઈને મહંમદપુરા સુધી પણ વાહનો અડકી જવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો.
ભરૂચના દહેજ તથા વિલાયતમાં આવેલ જીઆઈડીસી દુનિયાની મોટી ઇન્ડસ્ટ્રીમાં રૂપાંતરિત થઇ રહી છ. અત્યારે શ્રાવણ ચોકડીથી એબીસી ચોકડી સુધી બ્રિજનું કામ ચાલુ છે. આ રસ્તો વડોદરા – મુંબઈ તરફથી આવતાં ગૂડ્સ વાહનોને દહેજ તથા વિલાયત શુધી પહોંચવાનો એક માત્ર વિકલ્પ છે, બ્રિજના કારણે આ રસ્તા પર આપેલું ડાઇવર્ઝન અહિયાંથી પસાર થતાં વાહનોની સરખામણીમાં ઘણું નાનું પડે છે તથા આ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હોય આ રસ્તેથી પસાર થતાં વાહનોની હાલત અત્યંત કફોડી બની જાય છે. વળી ભરૂચથી લાખો લોકો રોજ દહેજ સુધી નોકરી ધંધા અર્થે અથવા તો વેપાર અર્થે અપડાઉન કરતાં હોય છે જે શ્રવણ ચોકડી ટ્રાફિક જામના કારણે સિટીમાંથી પસાર થતાં હોય સિટીની હાલત પણ કફોડી બની ગઈ છે જેના કારણે રોજ સવારે શાળાએ જતાં વિદ્યાર્થીઓ પણ સમયસર નિશાળે પહોંચી શકતા નથી.
ટ્રાફિક જામ એટલો ગંભીર બન્યો કે મોટા વાહનો, જેમને સામાન્ય રીતે બાયપાસ પરથી ડાયવર્ટ કરવામાં આવે છે, તે પણ શહેરના માર્ગ પરથી પસાર થતા જોવા મળ્યા જેના કારણે શહેરના અંદર ટ્રાફિકની સ્થિતિ વધુ વિકટ બની. બીજી તરફ, ન્યાય મંદિર ચોકડી પરથી સુરતથી વડોદરા જતા વાહનો પણ નબીપુર પાસે લાંબા સમય સુધી અટવાઈ ગયા. નેશનલ હાઇવે નંબર 48 પર પણ ટ્રાફિક જામના કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. મુસાફરોને તેમના શ્થાન સુધી પહોંચવા કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.
લોકોમાં આ પરિસ્થિતિ અંગે ભારે નારાજગી જોવા મળી રહી છે. ટ્રાફિક વિભાગ દ્વારા પણ હજુ સુધી કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે પરેશાની વધી રહી છે. છેલ્લા કેટલા દિવસથી ટ્રાફિકની સમસ્યા અત્યંત ગંભીર બની ગઈ હોવા છતાં બાયપાસ ચોકડીથી એબીસી ચોકડી સુધીના રસ્તાનું સમારકામ કરાવવા કોઈ અધિકારી, કોઈ ધારાસભ્ય કે સાંસદના પેટનું પાણી પણ હલતું નથી જે એક વિચારવા જેવી બાબત છે.





