રાજપીપળા,
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં નિક્ષય મિત્ર દ્વારા પોષણ કિટ વિતરણ થકી 100 % દર્દીઓને આવરી લેવાયા
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત “ટીબી મુક્ત ભારત” અભિયાનને સાકાર કરવા માટે નર્મદા જિલ્લામાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. નર્મદા જિલ્લો આકાંક્ષી જિલ્લો હોવાથી, ટીબીના દર્દીઓને ઝડપથી નિદાન અને સમયસર પૂરતી સારવાર સાથે જરૂરી પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લામાં હાલમાં 621 ટીબી દર્દીઓ સરકારી દવાખાના સારવાર મળી રહી છે. તાજેતરમાં જિલ્લા કલેકટર એસ.કે.મોદી દ્વારા પાંચ જરૂરીયાતમંદ ટીબી દર્દીઓને નિક્ષય મિત્ર બની દત્તક લઈને ન્યુટ્રિશિયન કિટ વિતરણ કરવામાં આવી હતી. કલેકટરના સહયોગથી શ્રી હરસિધ્ધી મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા દર્દીઓને નિક્ષયમિત્ર બની નાંદોદ તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના કુલ 181 ટીબી દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે જ્યારે દેવસ્થાન સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટે “નિક્ષય મિત્ર” બનીને દેડીયાપાડા અને સાગબારા તાલુકાના સરકારી દવાખાનામાં નોંધાયેલા ૨૫૬ ટીબીના દર્દીઓને દત્તક લીધા છે.જેમને પોષણયુક્ત ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવેલ છે, અન્ય બાકી દર્દીઓને દાતાઓ અને અન્ય ટ્રસ્ટ દ્વારા “નિક્ષય મિત્ર” બનાવવામાં આવ્યા છે.
વર્ષ 2025 માં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સર્વે કરેલ 54043 વનરેબલ વ્યક્તિઓ માંથી 12875 વ્યક્તિઓના ગળફામાં અત્યાધુનિક Trunaat મશીન દ્વારા ૭૫% કામગીરી કરી રાજ્યમાં નર્મદા જિલ્લો પ્રથમ સ્થાને છે જ્યારે ૧૫૩૧૦ નાં એક્સ -રે તપાસ કરવામાં આવેલ છે. નર્મદા જિલ્લાના સરકારી દવાખાનામાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને નિક્ષય મિત્રોના સહકારથી 100 % પોષણ કિટ આપી દર્દીઓને આવરી લેવામાં આવ્યા છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જનક માઢક અને જિલ્લા ક્ષય અધિકારી ડો.ઝંખનાબેન વસાવાએ નિક્ષય મિત્ર દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ, હરસિધ્ધી મંદિર સેવા ટ્રસ્ટ, દાતાઓ અન્ય ટ્રસ્ટ તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો છે.
