ભરૂચ,
રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે. ભરૂચ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી છે. 70 થી વધુ ઋષિ કુમારો અને 30થી વધુ ભૂદેવો દ્વારા નવા યજ્ઞોપવિ ધારણ કરવામાં આવ્યા હતા. બ્રાહ્મણ નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી જ “સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છે. આ રીતે જોતાં દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે.
