ભરૂચ,
ભરૂચ શહેર અને જીલ્લાભરમાં વસતા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી પહેરવેશ પહેરી પગપાળા રેલી યોજી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
દેશ અને દુનિયામાં જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે અને પ્રાકૃતિક સંશાધનો જે પ્રમાણે ખતમ થઈ રહ્યા છે તેને જોતા વર્ષ 1982 માં પહેલી વાર મિટિંગ યોજી ૧૯૯૪ થી શરૂ થયેલ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ચાલી રહી છે.
આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ કરવા માટે ત્યારથી ૯ મી ઓગષ્ટ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આદિવાસી સમુદાયોના લોકો, આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે ત્યારે ભરૂચ શહેર અને જીલ્લાના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ઈદગાહ ગ્રાઉન્ડ પરથી આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિની પૂજા કરી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પગપાળા રેલી ઈદગાહ ગ્રાઉન્ડથી નીકળી શહેરના બંબાખાના, મહંમદપુરા, પાંચબત્તી સહિતના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી સમાપન કરવામાં આવી હતી.
આ રેલીમાં આદિવાસી સમુદાયના યુવક – યુવતીઓએ પરંપરાગત પહેરવેશ, તિર કામથાસાથે આદિવાસી નૃત્ય સાથે સિદ્દિકી સમાજના લોકો દ્વારા પણ નૃત્ય સાથે જોડાઈ રેલી કાઢી સમાજને શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ લઈ જવા સંકલ્પો સાથે જય આદિવાસીના નારા લગાવ્યા હતા. સમગ્ર પગપાળા રેલી દરમ્યાન આદિવાસી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો રેલી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.





