ભરૂચ,
ભરૂચ શહેરના કશક ગરનાળા વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસ કાર્યના ભાગરૂપે બ્લોક બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસા પહેલા આ માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. હવે વરસાદ ઓછો થતાં કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે.
આ માર્ગથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, ખાસ કરીને પીક અવર્સમાં દિનચર્યાના વાહનચાલકો માટે તે મુખ્ય માર્ગ છે. રાત્રિ દરમિયાન જૂના બ્લોક કાઢી નાખવાના કારણે રસ્તા પર મોટા ખાડા સર્જાયા છે જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વાહનો ખાડામાં ફસાતા અકસ્માત જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પોતે સ્થળ પર પહોંચી કામગીરી તાત્કાલિક રોકાવવાનું આદેશ આપ્યો હતો. સાથે જ કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કામગીરી હવે રાત્રિના સમયે જ કરવી, જેથી સામાન્ય વાહનચાલકોને મુશ્કેલી ન પડે. આ મામલે વિપક્ષના નેતા સંમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે વિકાસ કાર્ય જરૂરી છે, પણ તંત્રએ યોગ્ય આયોજન અને નોટિફિકેશન વિના આવી કામગીરી શરૂ કરતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ટ્રાફિક જામની માહિતી મળતા જ પોલીસ તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ સાથે લોકોને સહાય પણ આપવામાં આવી હતી.








