ભરૂચ,
ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા કાંસવા ગામની સીમ વિસ્તારમાંથી એક અજાણ્યા વ્યક્તિનો વિકૃત હાલતમાં ઝાડ સાથે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બાદમાં પોલીસ તપાસ દરમિયાન મૃતકની ઓળખ કાંસવા ગામના સંજય મગનભાઈ રાઠોડ તરીકે થઈ હતી. હાલ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કાંસવા ગામમાં રહેતા આશરે 35 વર્ષીય સંજય મગનભાઈ રાઠોડનો પત્ની સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી. ત્યારબાદ તેમની પત્ની પિયર જતી રહી હતી. ઘટનાના પગલે સંજય રાઠોડ છેલ્લા પાંચ દિવસથી ઘરેથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું.
આ દરમિયાન રવિવારે કાંસવા ગામની સીમ વિસ્તારમાં એક વ્યક્તિનો ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં અને વિકૃત સ્થિતિમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.બનાવ અંગે સ્થાનિકોએ ભરૂચ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેઓ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ કાંસવા ગામના સંજય મગનભાઈ રાઠોડ તરીકે થઈ હતી. હાલ ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે…
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
