ભરૂચ,
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં ખેતર પર શાકભાજી લેવા ગયેલી મહિલાનું ઝટકા મશીનના કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ શુક્લતીર્થ, નવીનગરી, ખપ્પર માના ફળીયા વિસ્તારમાં રહેતા જયેશ દલસુખભાઈ પટેલે પોલીસ સમક્ષ જાહેર કર્યું કે તેમની માતા મધુબેન દલસુખભાઈ પટેલ (ઉ.વ.55) રોજિંદા ધંધા તરીકે ભરૂચના તુલસીધામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા. 3જી નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમમાં આવેલા વૈરવા વગામાં રાજીવકુમાર રામપ્રતાપ મોર્યના ખેતર તરફ ગયેલા હતા.
જયેશભાઈએ જણાવ્યું કે તેઓએ સવારે આશરે સાડા આઠ વાગ્યે પોતાની માતાને મોટરસાયકલ ઉપર ખેતર સુધી છોડ્યા હતા. થોડા સમય બાદ રાજીવકુમાર મોર્યનો ફોન આવી જાણ કરવામાં આવી કે મધુબેનને ખેતરના રોઢા ઉપર લગાવેલી ઝટકા મશીનના તારથી કરંટ લાગ્યો છે.
આ માહિતી મળતા જયેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા, જ્યાં મધુબેન જમીન પર બેભાન હાલતમાં પડેલા હતા. ત્યારબાદ ગામના સંજયભાઈ રતીલાલ પટેલની ઈનોવા કારમાં મધુબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરીને સવારે આશરે 10 વાગ્યાને 24 મિનિટે તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ મધુબેનબેનના ડાબા પગના અંગૂઠાના ભાગે કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા હતા. બનાવ અંગે શુક્લતીર્થ પોલીસ દ્વારા નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઘટનાથી શુક્લતીર્થ તેમજ આસપાસના વિસ્તારોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.





