ઝઘડિયા, ભરૂચ
– કાંટોલના ૬૫ વર્ષીય વૃધ્ધ પશુઓ ચરાવવા ગયા હતા તે દરમિયાન ગુમ થયા હતા : ગુમ થયાના છ દિવસ બાદ ખાડીમાંથી તેમનો મૃતદેહ મળ્યો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના જરસાડ ગામે માધુમતી ખાડીમાંથી એક ૬૫ વર્ષીય વૃધ્ધનો જર્જરિત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કાંટોલ ગામના ૬૫ વર્ષીય જયંતીભાઈ ત્રિકમભાઇ વસાવા તા.૨૮ મીના રોજ ડુંગર વિસ્તારમાં પશુઓ ચરાવવા ગયા હતા ત્યાર બાદ તેઓ ઘરે પાછા ન ફરતા પરિવારજનો દ્વારા તેમને શોધવા છતાં કોઈ ભાળ મળી નહતી. આ બાબતે તે સમયે ઉમલ્લા પોલીસમાં જાણવાજોગ ફરિયાદ લખાવવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ તા.૩ જીના રોજ રાજપારડી નજીકના જરસાડ ગામ પાસે માધુમતી ખાડીમાંથી ડી કમ્પોઝ હાલતમાં એક વૃધ્ધ ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતની જાણ પાંચેક દિવસ પુર્વે લાપતા થયેલ જયંતીભાઇના પરિવારને કરવામાં આવતા તેમનો પૌત્ર અને પરિવારજનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ખાડીમાંથી મળેલ ડી કમ્પોઝ હાલતનો મૃતદેહ તેમના દાદા જયંતીભાઇનો હોવાનું જણાવ્યું હતું. તા.૨૮ મીના રોજ કાંટોલ ગામના જયંતીભાઈ વસાવા પશુઓ ચરાવવા ગયા હતા તે દરમ્યાન માધુમતી ખાડીમાં તણાઈ જઈને પાણીના વહેણ સાથે દુર જરસાડ ગામ સુધી ખેંચાઈ જતા તેમનું મોત થયું હશે એમ જાણવા મળ્યું હતું. ઘટના સંદર્ભે મૃતકના પૌત્ર નિલેશભાઈ સુરેશભાઈ વસાવા રહે.ગામ કાંટોલ તા.ઝઘડિયા જી.ભરૂચનાની જાણવાજોગ ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




