ઝઘડિયા, ભરૂચ
– મહિલા આરોપીને મળવા માંગતી ન હોઈ આરોપીએ ખેતરમાં ગયેલ મહિલાની કુહાડી મારીને હત્યા કરી હોવા બાબતે પોલીસ ફરિયાદ થઈ હતી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે ગત તા.૯-૬-૨૦૧૮ ના રોજ ખેતરમાં કામે ગયેલ એક ૪૮ વર્ષીય મહિલાની રમેશભાઈ ઉર્ફે રામશો વસાવા નામના ઈસમે કુહાડી મારીને હત્યા કરી હોવાની ઘટના બની હતી. ઘટનાની ખબર પડતા મૃતક મહિલાના પરિવારજનો ખેતરે દોડી ગયા હતા.ત્યાં જઈને જોતા મહિલાના ગળા પર ઘા થયેલ હતો અને લોહી નીકળતું હતું અને મહિલા સ્થળ ઉપરજ મરણ પામેલ હતી.તે સમયે સ્થળ ઉપર હાજર ગામનાજ એક માણસ દ્વારા જાણવા મળેલ કે રમેશ ઉર્ફે રામશો શાંતુભાઈ વસાવા રહે.ગામ તલોદરાનાએ મહિલાને ગળા પર કુહાડી મારતા તેનું મોત થયેલ હતું. ઘટના સંદર્ભે તે સમયે મૃતકના પુત્રએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ હત્યાની ઘટના સંદર્ભે નામદાર સેશન્સ કોર્ટ અંકલેશ્વરમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા સદર આરોપીને આજીવન કેદની સજા તથા રૂપિયા ૨૫,૦૦૦ દંડ કરવામાં આવ્યો હતો. વધુમાં મળતી વિગતો મુજબ મૃતક મહિલા અને આરોપી રમેશભાઈ ઉર્ફે રામશો શાંતુભાઈ વસાવા રહે.ગામ તલોદરા તા.ઝઘડિયા જી.ભરૂચના વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતું ત્યાર બાદ મરણજનાર બહેન છેલ્લા બે મહિનાથી આરોપીને મળવા માંગતા ન હતા. તા.૯-૬-૨૦૧૮ ના રોજ તલોદરા ગામની સીમમાં મરણજનાર મહિલા પોતાના ખેતરે નીંદામણ કામે ગયેલા તે વખતે આરોપીએ આ મહિલાની કુહાડી મારીને હત્યા કરી હતી. ઘટના સંદર્ભે જેતે સમયે ઝઘડિયા પોલીસે આરોપીને અટક કરીને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી. પોલીસ દ્વારા આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા એકત્ર કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જે કેસ નામદાર સેશન્સ કોર્ટ અંકલેશ્વર ખાતે ચાલી જતા હાલમાં તા.૨૬.૦૯.૨૦૨૫ ના રોજ નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તથા રૂપિયા ૨૫,૦૦૦ નો દંડ કર્યો હતો.




