ભરૂચ,
– ભરૂચ જિલ્લાની ચાર ઉદ્યોગ સંસ્થાઓનાં પ્રતિનિધિઓ આ વિડિઓ કોન્ફરન્સમાં જોડાયા અને આત્મનિર્ભર ભારતનાં સપનાને સાકાર કરવા રાજ્ય તથા કેન્દ્ર સરકારનાં પ્રયત્નોને બિરદાવ્યા હતાં
– વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જી.એસ.ટી.ના દરમાં ઘટાડો કરી અને અર્થતંત્રને વેગ આપવાના નિર્ણયને આવકારતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગકારો
ભરૂચ – સોમવાર – વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જી.એસ.ટી ના દરમાં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતા સમગ્ર દેશના વેપાર જગતમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમવારે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જી.એસ.ટી. GST 2.0” રિફોર્મ તથા “આત્મનિર્ભર ભારત” બચત ઉત્સવ અંગે ઉદ્યોગ સંગઠનો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વીડિયો કોન્ફરન્સમાં સ્વદેશી ઉત્પાદનોના વેચાણ અને જી.એસ.ટી. ઘટાડાના નિર્ણયને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે જણાવ્યું હતું. ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભારતનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વ તથા ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં પ્રેરણાદાયક માર્ગદર્શન પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ આત્મનિર્ભર ભારતનાં સપનાને સાકાર કરવા રાજ્ય તથા કેન્દ્ર સરકારનાં પ્રયત્નોને બિરદાવ્યા હતાં.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કોન્ફરન્સ હોલના વિડીયો કોન્ફરન્સમાં ભરૂચ જિલ્લાની અગ્રણી ઉદ્યોગ સંસ્થાઓનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનો સમાવેશ થાય છે.





