રાજપીપળા,
– તિરંગાના માન-સન્માન અને દેશભક્તિના જુસ્સા સાથે યોજાયેલી યાત્રામાં સ્થાનિક પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને નગરજનો ઉત્સાહભેર જોડાયા
“હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજ રોજ રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન-સન્માન સાથે યોજાઈ હતી.
તિરંગા યાત્રાનો પ્રારંભ બિરસા મુંડા ચોક ખાતેથી થયો હતો, જ્યાં જિલ્લા કલેક્ટર એ.કે. મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંહ તડવી, નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ તથા અન્ય અગ્રણીઓએ નંદરાજાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. દેશભક્તિના ગીતો અને આદિવાસી કલાકારોના નૃત્ય સાથે તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી, જેમાં નાગરિકો પણ દેશપ્રેમના રંગે રંગાયા હતા.
ડૉ.બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ યાત્રા ગાર્ડન ખાતે પહોંચી સંપન્ન થઈ હતી. જ્યાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રેરણાદાયી યાત્રામાં સ્થાનિક અગ્રણીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટ તંત્ર અને પોલીસ વિભાગના અધિકારી-કર્મચારીઓ, નગરપાલિકા હોદ્દેદારો, શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, સ્ટૂડન્ટ સ્કાઉટ-ગાઈડ, મેરા યુવા ભારત-નર્મદાના સ્વયંસેવકો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.





