ભરૂચ,
ઝઘડિયાના ઉમલ્લાના વેપારીને ગુંડા તત્ત્વોએ માર મારવાના બનાવમાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માથાભારે માણસો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી.
સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લાના વેપારી મુકેશ શાહ તથા તેમના પરિવારજનોને તેમની દુકાને જઈને રાયસીંગ પુરાના સરપંચના પુત્ર શનાભાઈ વસાવા કે જેઓ પ્રકાશ દેસાઈના ડ્રાઈવર છે તેઓએ તેમના માથાભારે માણસોને સાથે રાખીને ફ્રીઝની બાબતને લઈને લાકડીઓના સપાટાથી સખત માર માર્યો. આ બાબતની જાણ ઉમલ્લા પી.આઈને કરી હતી. બીજા દિવસે ૫-૬ કલાક ફરિયાદને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા પછી સામાન્ય ફરિયાદ નોંધી, પ્રકાશ દેસાઈના દબાણને કારણે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી નથી. પ્રકાશ દેસાઈની ટીમ “જનતા કા રાજ” નામનું સંગઠન ચલાવે છે. આ લોકો ગમે તે કાર્યક્રમ પ્રસંગોમા ૧૦૦-૨૦૦ બાઈકો લઈને પહોચી જાય છે અને પ્રજાને રંજાડે છે. આ બાબતે પણ જે તે સમયે મેં ભરૂચના ડી.એસ.પીને તેમના કરતૂતો અંગે જાણ કરી હતી અને કેટલાક વિડિયો પણ મેં બતાવ્યા હતા. ભરૂચ ડી.એસ.પી સાહેબે જે તે સમયે થોડી ઘણી કાર્યવાહી કરી હતી પરંતુ “જનતા કા રાજ” સંગઠનને રાજકીય પીઠબળ મળી રહે છે જેથી પોલીસ પણ આ લોકો આગળ વામણી પડે છે.
બીટીપીમાં રહીને આ લોકો પ્રજાને રંજાડતા હતા અને ભાજપમાં આવ્યા પછી પણ પ્રકાશ દેસાઈ અને તેમના માણસો પ્રજાને રંજાડે છે. ઉમલ્લાના મુકેશ શાહને લાકડીઓ વડે સપાટા મારીને માર માર્યો હતો આ બાબતની જાણ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાને વ્યાપારીઓએ કરી હતી પરંતુ તેઓ પણ વ્યાપારીઓને મદદરૂપ થયા નથી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પાઠવી ભયમુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત સરકારમાં વ્યાપારીઓને રક્ષણ આપી અને શના વસાવા જેવા માથાભારે માણસોની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાય એવી રજૂઆત કરવામાં આવી હતી.





