જંબુસર,
જંબુસર તાલુકાના પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે જંબુસર એસટી ડેપોમાં આજે બે નવી એસટી બસોની સેવા શરૂ કરવામાં આવી. આ બસોના લોકાર્પણ સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. બંને આગેવાનો દ્વારા લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
આ બંને બસો ખાસ કરીને જંબુસરથી ખંડેલા અને ખંડેલાથી જંબુસર વચ્ચે દૈનિક દોડાવવામાં આવશે જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને આરામદાયક અને સમયસર વાહન વ્યવહાર ઉપલબ્ધ થઈ રહેશે. અંદાજે જંબુસર એસટી ડેપોને કુલ 19 નવીન એસટી બસો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેના પગલે પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બેસિક પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ વધુ મજબૂત બનશે આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી તેમજ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીનો આ બસો ફાળવણી બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને રાજ્ય સરકારના જનકલ્યાણકારી પ્રયાસોની પ્રશંસા કરી હતી. સ્થાનિક ગ્રામજનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.





